મુંબઈ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી (RIL Chairman Mukesh Ambani)એ ગુરુવારે કહ્યુ છે દુનિયા ચોથી ઓદ્યાગિક ક્રાંતિ (Fourth Industrial Revolution) તરફ આગળ વધી રહી છે. આવા સમયે ભારત પાસે ફક્ત આ તકને ઝડપી લેવાનો જ નહીં પરંતુ વૈશ્વિક નેતા બનવાનો મોકો છે. TM Forumની ડિજિટલ ટ્રાન્સફોર્મેશન વર્લ્ડ સિરિઝ 2020ને વર્ચ્યુઅલ કૉન્ફરન્સથી સંબોધતા મુકેશ અંબાણીએ જણાવ્યુ હતુ કે, પ્રથમ બે ઔદ્યોગિક ક્રાંતિમાં ભારત તક ચૂકી ગયું હતું.
મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, ત્રીજી ઓદ્યોગિક ક્રાંતિમાં ભારત રેસમાં જોડાયું હતું પરંતુ હજુ પણ તે પાછળ રહ્યું છે. ચોથી ઓદ્યોગિત ક્રાંતિ વખતે ડિજિટલ અને ફિઝિકલ ટેક્નોલોજી જેવી કે ડિજિટલ કનેક્ટિવીટી, ક્લાઉડ અને એડ્ઝ કોમ્પ્યુટિંગ, IoT અને સ્માર્ટ ડિવાઇઝ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક, બ્લોકચેઇન, AR/VR અને જિનોમિકનો રોલ ખૂબ વધારે રહેશે.
ક્રાંતિમાં ભાગ લેવા માટે ત્રણ પાયાની જરૂરિયાત રહે છે. જેમાં અલ્ટ્રા હાઇસ્પિડ કનેક્ટિવિટી, પરવડે તેવા સ્માર્ટ ડિવાઇસિસ અને પરિવર્તિત ડિજિટલ એપ્લિકેશન્સ અને સોલ્યૂશન સામેલ છે. જિયો આ ત્રણેય જરૂરિયાત પૂરી પાડવા માટે સક્ષમ છે.
મુકેશ અંબાણીએ વધુમાં કહ્યુ હતુ કે, "જિયોના આવ્યા પહેલા ભારત 2Gમાં જ અટકી ગયું હતું. જિયો દેશમાં ડિજિટલ ક્રાંતિ લાવવા માંગતું હતું. અમે એવું મજબૂત નેટવર્ક બનાવ્યું કે જે ખૂબ ઝડપી ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપે. ભારતની ટેલિકોમ ઇન્ડસ્ટ્રીને 2G સુધી પહોંચતા 25 વર્ષ લાગ્યા હતા, જ્યારે Jioએ ફક્ત ત્રણ જ વર્ષમાં 4G નેટવર્ક સ્થાપિત કરી દીધું હતું. અમે વિશ્વમાં સૌથી સસ્તા દરે ઇન્ટરનેટ પૂરું પાડ્યું છે અને વોઇસ સેવા તો બિલકુલ મફતમાં આપી છે."
મુકેશ અંબાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, "ભારતમાં ડિજિટલ ક્રાંતિ પહેલા આશરે 50 કરોડ લોકો સ્માર્ટફોનની કિંમત વધારે હોવાથી 2G ફોનનો ઉપયોગ કરવા માટે મજબૂર હતા. અમારા યુવા અને હોંશિયાર એન્જિનિયરોએ તેમના માટે પરવડે તેવો જિયોફોન બનાવ્યો હતો. આ ફોને એક જ વર્ષમાં 100 મિલિયન લોકોને દુનિયાની અપાર તકો પૂરી પાડી હતી."