કિંજલ કારસરીયા,જામનગર : આર્યુવેદનું કાશી ગણાતા જામનગરને (Jamnagar) દિવાળી (Diwali) પહેલા મોટી ભેટ મળવા જઈ રહી છે. જામનગરની રાજાશાહી વખતની આર્યુવેદિક સંસ્થાનને રાષ્ટ્રીય દરરજો મળવા જઈ રહ્યો છે. આગામી ધનતેરસના દિવસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ઈ-વિમોચન કરશે.
જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સંલગ્ન ફાર્મસી ગુલાબકુંવરબા આયુર્વેદ કોલેજ સહિત ત્રણ સંસ્થાઓને ઇન્સ્ટિટયુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદના દરજ્જો આપતું બિલ સંસદમાં પસાર થયા બાદ હવે આગામી 13મી નવેમ્બરના રોજ પાંચમાં આયુર્વેદ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ઈન્સ્ટિટયુટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ અટલેકે ITRAનું લોકાર્પણ વીડિયો કોન્ફરન્સ માધ્યમથી થવાનું છે.
હાલમાં જામનગરના આર્યુવેદ સંસ્થાનને દિવાળી પહેલા જ ખૂબ ગૌરવશાળી રાષ્ટ્રીય દરજ્જો આપવાની મહત્વની ઘડીઓ પહેલા જ આગામી 13મી નવેમ્બરના દિવસે જામનગરની આર્યુવેદ યુનિવર્સિટીમાં ગુજરાતનાં રાજયપાલ, CM, ડેપ્યુટી CM સહિતના મહાનુભાવોના આગમનને લઈને કાર્યક્ર્મ પૂર્વે ઉચ્ચ અધિકારીઓની સમીક્ષા બેઠકનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો છે.
જામનગર, આર્યુવેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, ડો.અનુપ ઠાકરના જણાવ્યા પ્રમાણે,ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી એ જામનગર ખાતે આવેલી એક શિક્ષણ અને સંશોધનનું કાર્ય કરતી સંસ્થા છે. આ એક એવી પ્રથમ સ્થાયી યુનિવર્સિટી છે કે જ્યાં, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરના આર્યુવેદ વિષયના અભ્યાસક્રમોના શિક્ષણ અને સંશોધનનું કાર્યનું સંચાલન કરવામાં આવે છે. આવી જામનગરની આયુર્વેદ યુનિવર્સિટી તેમજ સંલગ્ન સંસ્થાઓને રાષ્ટ્રીય દરજ્જો આપતું બિલ સંસદમાં પસાર થઇ ગયા બાદ હવે આગામી 13મી નવેમ્બરે શુક્રવારના ધનતેરસના દિવસે રાજ્યપાલ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયુર્વેદ યુનિવર્સિટી ખાતે નવા માળખાનું વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરસિંગથી હાજરી આપીને ઈ- લોકાર્પણ કરશે.