સુરત: 'ફી-નહીં તો અસાઇમેન્ટ નહીં,' ધારુકાવાળા કૉલેજના તઘલખી નિર્ણયથી વિદ્યાર્થીઓ મૂંઝાયા
Updated: October 21, 2020, 6:51 PM IST
કૉલેજ ખાતે વિદ્યાર્થીઓનો હોબાળો.
ધારુકાવાળા કૉલેજ ભણતા વિદ્યાર્થીઓને સંચાલકો તરફથી ફી ભરવા માટે દબાણ કરતા વિદ્યાર્થીઓએ કૉલેજમાં જ વિરોધ પ્રદર્શન કરીને હુરિયો બોલાવ્યો હતો.
સુરત: શહેરના કાપોદ્રા વિસ્તાર (Surat Kapodra Area)માં આવેલી જીવરાજ ધારુકાવાળા કૉલેજ (Dharukawala College)ના સંચાલકોની બે ધારી નીતિ સામે આવી હતી. કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓને સંચાલકો તરફથી ફી ભરવા માટે દબાણ કરતા વિદ્યાર્થીઓએ કૉલેજમાં જ વિરોધ પ્રદર્શન કરીને હુરિયો બોલાવ્યો હતો. જોકે, આનાથી કૉલેજના સંચાલકોના પેટનું પાણી પણ હલ્યું ન હોય તેવા ઘાટનું નિર્માણ થયું છે. ધારુકાવાળા કૉલેજની બે ધારી નીતિ સામે આવી છે. કૉલેજની આ નીતિનો વિદ્યાર્થીઓએ છડેચોક વિરોધ કરી દીધો હતો. વિદ્યાર્થીઓ એવી દલીલો કરી રહ્યા હતા કે, પહેલા કૉલેજ સંચાલકો દ્વારા ફી મોડેથી ભરવાની સૂચના આપવામાં આવી હતી પરંતુ હવે સંચાલકો આ સૂચનાથી પલટી મારી ગયા હોય તેવું લાગી રહ્યું છે.
કૉલેજના સંચાલકોએ વિદ્યાર્થીઓને હવે તાબડતોબ ફી ભરી જવા કહ્યું હતું. જેથી વિદ્યાર્થીઓનો રોષ આ સૂચનાને લઈને જાણે દાવાનળ બનીને ફાટી નીકળ્યો હતો. કૉલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું કહેવું હતું કે કૉલેજ સંચાલકો શા માટે તેમની સાથે આવું કરી રહ્યા છે તે તેમને સમજાઈ નથી રહ્યું. ફીનો મુદ્દો જાણે તેમની સમજની બહારનો વિષય બનીને રહી ગયો હોઈ તેવું પણ તેમને લાગી રહ્યું છે.
આ પણ વાંચો: 30 લાખ સરકારી કર્મચારીઓને મળશે દિવાળી બોનસ, સરકારે 3,737 કરોડ રૂપિયાની ચૂકવણીને આપી મંજૂરી
આગામી સમયમાં યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ દ્વારા રજુઆત કરવામાં આવશે. કૉલેજ ફી ભરશો તો જ વિદ્યાર્થીઓના અસાઈમેન્ટ સ્વીકારાશે, નહીં તો નહીં સ્વીકારવામાં આવે તેવી સંચાલકોની જાહેરાતથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની જશે તેવી દહેશત વિદ્યાર્થીઓમાં વ્યાપી જવા પામી હતી. વિદ્યાર્થીઓનું કહેવું હતું કે પહેલા કૉલેજ દ્વારા લેટ ફી ભરવા અંગેની સૂચના આપી હતી પરંતુ હવે તાબડતોબ ફી ભરી જવાનો તઘલખી નિર્ણય કરી દેતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા છે.

આ વાતને લઈને બુધવારે 300 જેટલા વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કરી કૉલેજ વિરુદ્ધ નારેબાજી કરી હતી. ઉલ્લેખનીય છે કે હાલ શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ અને કૉલેજોમાં શિક્ષણકાર્ય શરૂ ન થાય ત્યાં સુધી ફી માટે કોઇ પણ પ્રકારનું દબાણ કરવું નહીં તેવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. છતાં પણ શાળા અને કૉલેજના સંચાલકો ફી માટે તેમની ભૂખ કેમ જગાવી રહ્યા છે તે નક્કી કરવું હવે મુશ્કેલીભર્યું બની ગયું છે!
Published by:
Vinod Zankhaliya
First published:
October 21, 2020, 6:50 PM IST